ગુજરાતમાંથી અવારનવાર ઘણા કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, લગ્નેતર સંબંધ કે પછી પારિવારિક ઝઘડા અથવા તો આર્થિક તંગી જેવા અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી આપઘાતનો મામલો સામે આવ્યો છે.
જેમાં કેન્દ્ર સરકારના ક્લાસ વન અધિકારીએ લાંચ લેતા ઝડપાયા બાદ પોલીસ કમિશનરની ઓફિસના ચોથા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી હડકંપ મચી ગયો છે. અધિકારીએ ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી. રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈને CBIએ 5 લાખની લાંચ લેતા ઝડપાતા તેમણે વહેલી સવારે ચોથા માળેથી ઝંપલાવી દેતા ગંભીર ઇજાને કારણે તેમું મોત નીપજ્યું હતું.
હાલ તો તેમના મૃતદેહને રાજકોટ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યો હોવાની શંકા છે. મૃતકના પરિવારજન મુજબ, આ બહુ મોટું ષડયંત્ર છે, જાવરીમલ એવા વ્યક્તિ નહોતા, તેઓ બહુ સારા હતા. બે દિવસથી તેમને માર મારવામાં આવતો અને તેઓ લાંચ લેતા નહોતા, બહુ ઇમાનદાર હતા. જાવરીમલના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે, આમાં પ્રધાનમંત્રીએ પોતે હસ્તક્ષેપ કરવો જોઈએ.
આ એક મોટું ષડયંત્ર છે, મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરવો જોઈએ, અહીં તો બધું મજાક બનાવીને રાખી દીધું છે. બધા હળીમળીને એક હોનહાર અધિકારીનો જીવ લઈ લીધો છે. CBIની ટીમે છટકુ ગોઠવી જાવરીમલ બિશ્નોઈ લાંચ લેતા ઝડપ્યા હતા અને સર્ચ ઓપરેશન દરમિયાન સવારે 9.45 વાગ્યા આસપાસ તેમણે કૂદકો મારી આફઘાત કર્યો હતો. જો કે, તેમને તરત સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા પણ તેમનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું.
ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફરિયાદી દ્વારા ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં આવી હતી અને આ અંગેના દસ્તાવેજો ધરાવતી છ ફાઈલ ડાયરેક્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ખાતેની ઓફિસમાં જમા કરી હતી, પણ બિશ્નોઇ દ્વારા NOC આપવા માટે 9 લાખની લાંચ માગવામાં આવી હતી.
ફરિયાદીએ બેંકમાં 50 લાખની ગેરન્ટી લીધી હતી અને એના માટે NOC જરૂરી હોવાને કારણે બિશ્નોઇ દ્વારા 9 લાખની માગ કરાતા ફરિયાદીએ કહ્યું કે પહેલા હપ્તા પેટે તે 5 લાખ આપી દેશે. જો કે, જ્યારે ફરિયાદી જાવરીમલને પાંચ લાખ આપવા ગયા ત્યારે બિશ્નોઇએ આ રકમ સ્વીકારી અને CBIની ટીમે ઓફિસમાં પહોંચી જઇ રંગે હાથ અધિકારીને ઝડપી પાડ્યા હતા.