ગુજરાતમાંથી ઘણી આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં કેટલીકવાર આપઘાતનું કારણ આર્થિક તંગી, શારીરિક-માનસિક પરેશાનીઓ કે પછી પ્રેમ સંબંધ કે ઘર કંકાસ હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી આપઘાતની ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરણિતા ઘરેથી શાક લેવાનું કહીને નીકળી હતી અને તે તેની 6 વર્ષીય દીકરીને સાથે લઈને ગઈ હતી.

ત્યારે નરોડાના કાંકરિયા તળાવમાં તેણે તેની દીકરી સાથે મોતની છલાંગ લગાવી હતી. પોલીસને જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે હજુ સુધી પરણિતાએ તેની દીકરી સાથે આત્મહત્યા કેમ કરી તેનું કારણ સામે આવ્યુ નથી. જો કે, હાલ તો પ્રાથમિક તારણ ઘરકંકાસની શંકા છે.

અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા 27 વર્ષીય ભારતીબેન મોદી તેમની 6 વર્ષીય દીકરી જિયા સાથે શાકભાજી લેવા જવાનું કહીને નીકળ્યા હતા અને તે બાદ તેઓએ નરોડાના કાંકરિયા તળાવ પાસે જઈને 11 વાગ્યા આસપાસ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં બંનેના મોત નીપજ્યા હતા. નરોડા પોલીસે ઘટના સ્થળે તપાસ કરી તો બંનેના મોત થઈ ચૂક્યા હતા. પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને પરિવારને જાણ કરી હતી.

આ મામલે નરોડાના પોલીસ ઈન્સ્પેક્ટર મુજબ, ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ તો ઘરકંકાશ આપઘાતનું કારણ હોવાની શક્યતા છે, જેને પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.