રાજકોટમાં વધુ એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. માતાએ મોબાઈલ મૂકી વાંચવાનું કહેતા 18 વર્ષીય કોલેજીયન વિદ્યાર્થિની વિશ્વા પુનાભાઈ ખાંડેરખા એ આપઘાત કરી લીધો છે. ધુળેટીના પર્વે જ આવો બનાવ બનતા આહિર પરિવારમાં શોક છવાયો છે.
મળતી માહિતી મુજબ શહેરના સહકારનગરમાં દામજી મેપા પ્લોટમાં રહેતી વિશ્વા આજે સવારે 9.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતી અને મોબાઈલ લઈ બેઠી હતી ત્યારે તેના માતા ભારતીબેને પરીક્ષા નજીક છે મોબાઈલ મૂકી વાંચવા બેસી જા તેમ કહીં મોબાઈલ લઈ લીધો હતો. આ વાતનું લાગી આવતા વિશ્વા પોતાના રૂમમાં જતી રહી હતી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. થોડીવાર બાદ તેના નાનાભાઈ રક્ષિતને કંઈક અજુગતું થયાનો ભાસ થતા તેણે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પણ વિશ્વાએ કંઈ જવાબ ન આપતા રક્ષિતે માતાને જાણ કરી હતી.
ન થવાનું થયું હોવાની ચિંતાએ પરિવારજનોએ દરવાજો તોડી જોતા વિશ્વાએ હુક સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તુરંત તેને નીચે ઉતારી 108ને જાણ કરતા 108ના ઇએમટી ડોક્ટરે તપાસે વિશ્વાને સ્થળ પર જ મૃત જાહેર કરી હતી. વિશ્વા કણસાગરા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આજે સવારે ગળાફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા પોલીસ તાત્કાલિક પોંહચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. વિશ્વા એક ભાઈ એક બેનમાં મોટી હતી.
તેના પિતા પુનાભાઈ જે ડ્રાઇવિંગ કરે છે. એકની એક દીકરીએ આવું પગલું ભરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. આ દરમિયાન પોલીસ તરફથી એવી વિગત પણ મળી છે કે, ધુળેટીના દિવસે શેરીમાં વિશ્વા અન્ય પાડોશી યુવતીઓ સાથે રંગે રમતી હોય તેને માતાએ પરીક્ષા નજીક છે હવે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા પગલું ભર્યાનું કહેવાય રહ્યું છે. જોકે પોલીસે હાલ હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરી છે.